ભાજપે અરુણાચલમાં મુખ્યમંત્રીનું નામ જાહેર કર્યું: રાજ્યના CM તરીકે પેમા ખાંડુ ગુરુવારે શપથ લેશે, પાર્ટીને ઐતિહાસિક જીત અપાવવામાં સિંહ ફાળો
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan12062024_133805_Khandu-22.webp)
- 12 Jun, 2024
ભાજપે અરુણાચલમાં પણ મુખ્યમંત્રીનું નામ જાહેર કર્યું છે. ભાજપે સીએમ તરીકે પેમા ખાંડુને રિપિટ કર્યાં છે. રાજધાની ઈટાનગરમાં યોજાયેલી ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં તેમને દળના નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યાં છે. પેમા ખાંડુ ગુરુવારે સવારે સીએમ પદના શપથ ગ્રહણ કરશે. ધારાસભ્ય દળની બેઠકમાં નેતા ચૂંટાયા બાદ પેમા ખાંડુએ રાજ્યપાલ કે ટી પરનાયક પાસે જઈને સરકાર રચવાનો દાવો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આજે ઓડિશામાં મુખ્યમંત્રી તરીકે મોહન ચરણ માંઝીએ શપથ લીધા છે. આ સાથે જ રાજ્યમાં 24 વર્ષ પછી મુખ્યમંત્રી બદલાયા છે.
ભાજપને ઐતિહાસિક જીત અપાવવામાં સૌથી મોટો ફાળો પેમા ખાંડુનો છે, તેમની લીડરશીપમાં જ ભાજપને રાજ્યમાં ત્રીજી વાર જીત મળી છે. ભાજપે તેમના પર ભરોસો કાયમ રાખતાં તેમને ફરી સીએમ તરીકે રિપિટ કર્યાં છે. પેમા ખાંડુએ તાજેતરની વિધાનાસભા ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક જીત અપાવી છે. તેઓ સરહદી જિલ્લા તવાંગની મુક્તો બેઠક પરથી બિનહરીફ ચૂંટાયા છે. ભાજપે તેમના પર ફરી વિશ્વાસ મૂક્યો છે.
અરુણાચલ પ્રદેશમાં ભાજપે સતત ત્રીજી વાર સત્તામાં વાપસી કરી છે. આ વખતે ભાજપે અરુણાચલની 60 વિધાનસભા બેઠકોમાંથી 46 વિધાનસભા બેઠકો પર જીત હાંસલ કરી છે. ભારતીય જનતા પાર્ટીને (ભાજપ) અરુણાચલ પ્રદેશમાં બહુમતી મળી હતી. સિક્કિમમાં સિક્કિમ ક્રાંતિકારી મોર્ચાએ (એસકેએમ) બાજી મારી છે. ચૂંટણીપંચે આપેલી જાણકારી પ્રમાણે, અરુણાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં કુલ 60 બેઠકોમાંથી ભાજપને 46, નેશનલ પીપલ્સ પાર્ટીને (એનપીઈ) પાંચ, નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીને (એનસીપી) ત્રણ, પીપલ્સ પાર્ટી ઓફ અરુણાચલને (પીપીએ) બે અને કોંગ્રેસને એક બેઠક મળી હતી. ત્રણ બેઠકો પર સ્વતંત્ર ઉમેદવારને જીત મળી હતી.
કોંગ્રેસને જે એક બેઠક પર જીત મળી છે તે બામેંગ વિસ્તાર છે. કોંગ્રેસના ઉમેદવાર કુમાર વાઈએ અહીંથી ભાજપના દોબા લામ્નિયોને પરાજય આપ્યો છે. ભાજપે અરુણાચલ પ્રદેશમાં માત્ર પોતાની સત્તા જ નથી જાળવી પરંતુ બેઠકોની સંખ્યામાં વધારો પણ કર્યો છે. અરુણાચલ પ્રદેશની 10 બેઠકો પર ભાજપના ઉમેદવાર નિર્વિરોધ ચૂંટાયા હતા. 2019ની વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો ભાજપે 41 બેઠકો પર જીત મેળવી હતી, જ્યારે એનપીપીને પાંચ, એનસીપીને ચાર અને જનતા દળ યુનાઇટેડને સાત બેઠકો મળી હતી. મતોની ટકાવારીની વાત કરીએ તો ભાજપને 54.57 ટકા મતો મળ્યા હતા, જ્યારે એનપીપીને 16.11 ટકા અને એનસીપીને 10.43 ટકા મતો મળ્યા હતા.